School Innovation Council - State Level Workshop
જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલસાડ આયોજિત ત્રિ-દિવસીય રાજ્યકક્ષાની સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ - અભિમુખતા કાર્યશાળામાં આણંદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાયેલી આ કાર્યશાળામાં ખુશનુમા અને શાંત જગાએ કઈંક નવું જાણવા-માણવા મળ્યું. જે ચર્ચાઓ થઈ એ તો જિલ્લા કક્ષાએ જ કરીશું, પણ જ્યાં રોકાઈને કાર્યશાળામાં સહભાગી બન્યા તે જગાની થોડી વાત કરી લઈએ.
ધરમપુરથી 3 કિમી.ના અંતરે મોહનગઢ ખાતે નયનરમ્ય જગાએ આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ એક અધ્યાત્મ અને પરમ કલ્યાણની દ્યોતક છે. એક આત્મસાક્ષાત્કાર સંત, જૈન ધર્મના સુધારક અને 19મી સદીના ઉત્તરાર્ધના નોંધપાત્ર કવિ, તત્વચિંતક અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રેરણાથી આ આશ્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
તેમણે વિશ્વને આપેલો એક સમૃદ્ધ વારસો આપ્યો જે સાધકોની પેઢીઓને માર્ગદર્શન આપે છે. લાખો લોકોને આંતરિક શાંતિ અને આનંદથી સશક્ત કરતા, પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ એક પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક સ્વપ્નદ્રષ્ટા, આધુનિક સમયના રહસ્યવાદી અને શ્રીમદ રાજચંદ્રજીના પ્રખર ભક્ત છે. જેઓ આ સમગ્ર આશ્રમ અને તેની ગતિવિધિઓને વેગ આપી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મસાક્ષાત્કારનો માર્ગ પુનઃજીવિત કર્યો છે. દરેક આધ્યાત્મિક પ્રવૃત્તિ ઊંડા પરિમાણમાં પ્રવેશ કરે છે, જે આપણને સંપૂર્ણ અસ્તિત્વમાં ખીલવવામાં મદદ કરે છે.
મનોરમ્ય, આહ્લાદક અને શાંત વિસ્તારમાં સ્થાપિત આશ્રમમાં મેડિટેશન, ધ્યાન, યોગ સાથે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ, આદિવાસી સમાજના બાળકોના અભ્યાસની ચિંતા, રોજગારીના સ્રોત ઊભા કરવા સ્કીલ સેન્ટર ચલાવવા તથા આરોગ્ય સુવિદ્યા જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. કોઈપણ પ્રકારના પ્રલોભન કે સ્વાર્થ સિવાય નિઃશુલ્ક સેવાના હેતુથી થતી અનેકાનેક પ્રવૃત્તિઓ માનવ કલ્યાણનો રાહ ચીંધે છે.
સ્વચ્છ, સુઘડ, શાંત અને મોબાઈલની દુનિયાથી અલિપ્ત થવાથી લઈ પ્રભુમય વિચારોમાં જોડાવાનો મોકો આપતી જગાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. દોડધામથી દૂર અને મોબાઈલના વળગણથી અલિપ્ત રહી આ જગાએ બે-ત્રણ દિવસ રોકવાની ઈચ્છા હોય તો online બુકિંગ થઈ શકે છે.






Comments
Post a Comment